વડીલો ના કહેવાથી નુપુર અને કેતન ની મીટીંગ ચાલુ થઇ. પહેલીવાર બંને યુવાન હૈયા ને વિજાતીય આકર્ષણ થયું. નુપુર વાચળ હતી, જયારે કેતન ધીર ગંભીર યુવાન હતો. તે તેનું ઘણું ખરું કામ આંખોની ભાષા માં જ સમજાવી દેતો. પણ આ તો જિંદગી નો સવાલ અહી બોલ્યા વગર ન ચાલે. બંને વચ્ચે મૌન છવાયેલું હતું કોણ પહેલા શરૂવાત કરશે તેનું રહસ્ય ઘુટાતું હતું. હવે નુપુર ના હૈયા ની લગામ છૂટી ગઈ. અને તે બોલી “ મારું નામ નુપુર ! અને મેં એસ.એન.ડી.ટી.કોલેજમાં એસ. વાય. જેસી. સુધી અભ્યાસ કર્યો છે. હજુ તક મળે તો આગળ ભણવાનું વિચારું છું. પણ પપ્પા ની વિરૂધ્ધ કોઈકામ  ન કરે તેથી મેં તેમના કહેવાથી જ અભ્યાસ છોડયો છે. મને રસોઈમાં પણ ઘણું બધું આવડે છે. નુપુર બોલ્યે જતી હતી અને કેતન તેની મીઠી વાણી સાંભળ્યા જતો હતો. હવે નુપુર બોલી તમારે કઈ પૂછવું નથી ? ત્યારે કેતન ફક્ત એટલું જ બોલ્યો હું બી.કોમ. છું અને એક સોફ્ટ વેર કંપની માં છેલ્લા ત્રણ વર્ષ થી કામ કરું છું. મને પી .એફ. અને ગ્રેચ્યુટી બંને ની રકમ નો લાભ મળશે. અને એક વાત ખાસ હું ખુબ મહત્વકાંક્ષી છું. તેથી મારી ભાવી પત્નીને રસોઈ ની ચાર દીવાલમાં કેદ થયેલી જોવા નથી માંગતો . તે પણ મુક્ત રીતે સામાજિક વર્તુળમાં રહીને સારી નામના અને દામ બંને મેળવે અને એક સફળ સ્ત્રી ગણાય તેવી જોવા ચાહું છું .અને આ મારી એક શર્ત પણ સમજવી . આટલી વાતચીતમાં તો અડધો કલાક નીકળી ગયો .કિચનમાંથી વાસણ પાડવા આવાજ સાથે જ નુપુર બેડ પરથી ઉઠી ગઈ. અને કહ્યું તમારો કઈ પણ ફેસલો હોય તે જણાવજો .મારો અંતિમ ફેસલો મારા મમ્મી પપ્પા નો જ રહેશે. કહી ને બંન્ને બહાર આવ્યા.

બહારના રૂમમાં  નુપૂરના પપ્પા એ અમદાવાદ માં ક્યાં રહો છો ?જમવાનું શું કરો છો ? વગેરે સવાલો પૂછ્યા. કેતન શાંતિ બોલ્યો કે હું હરી ભક્તો સાથે સત્સંગ કરું છું અને મંદિરમાં જ નજીવા ભાવમાં જમું છું. અને ત્રણ મિત્રો સાથે એક રૂમમાં ભાડા થી રહું છું. આવા સંતોષકારક જવાબો આપી થોડીવાર પછી તે લોકો ત્યાંથી રવાના થયા. તેમના ગયા બાદ ઘરમાં આ અંગે ની વાતચીત ચાલી. મમ્મી એ નુપુર ને પૂછ્યું  તને કેમ લાગે છે વાતચીતમાં ? નુપુર થોડું વિચારી ને બોલી મને સારા સ્વભાવનો લાગ્યો.પણ તમે અને મારા પપ્પા જે નક્કી કરો તે મુજબ .

હવે અમુભાઈ સવિતાબેન ની સાથે વાતચીત માં બોલ્યા, મને છોકરો કરકસર વાળો લાગ્યો. ધાર્મિક વૃતિ નો પણ લાગ્યો અને માં ની સેવા કરે તેવો પણ છે. છતાં હું મારા એક મિત્ર ની મદદ થી તેની ઓફીસ માં પૂછપરછ કરી લઈશ. આમ આપણે જવાબ આપવામાં કોઈ ઉતાવળ નથી કરવી. થોડા દીવસો બાદ કેતન ની તપાસ કરાવતા બહુ સારા સમાચાર અને અભિપ્રાય જાણવા મળ્યા.

સવિતા બહેને ફરી એકાંત માં નુપુર ને તેના પપ્પા થી અજાણ પૂછ્યું. અમે કેતન ની  ઓફિસે માંથી જાણકારી કઢાવી તો બધા નો અભિપ્રાય સારો મળ્યો છે. તારી શું ઈચ્છા છે ? નુપુરે કહ્યું તમને જે યોગ્ય લાગે તેમ મને કોઈ વાંધો નથી . અને અમુભાઈ એ પળવાર પણ વિલંબ ન કર્યો ,અને પરેશ ને ફોન કરીને પોતાની આ સગપણ માટે હા પાડી અને કેતન ને ફોન કરીને તેમના બા અને બહેન સાથે આવવા નું આમંત્રણ આપી મુકવા નું સૂચવ્યું. પરેશ પણ પોતાની ફરજ મુજબ કેતન ને ફોન કરી અને તેને ઈચ્છા જાણવા નો પ્રયત્ન કર્યો. કેતન તરફથી પણ હા આવી અને રવિવારે તે અને તેની બા ,બહેન અને બનેવી એમ ચાર લોકો મુંબઈ આવીશું તેમ જણાવ્યું.

શનિવારે રાતના નીકળીને કેતન તેના પરિવાર સાથે મુંબઈ આવી પોહોચ્યો .કેતન ના પરિવારને લેવા પરેશ અને ભાવેશ બોરીવલી સ્ટેશન ગયા. બધા મહેમાનો ને લઇ પરેશ નુપુર ના ઘરે આવી પોહોચ્યો .સવિતાબહેન અને અમુભાઈ એ બધાને મીઠો આવકાર આપી આવકાર્યા. ચા નાસ્તો પતાવી બધા નહિ ધોઈ ને તૈયાર થઇ ગયા . કેતન ની બહેન હીના નુપુર ને કામ કરતી જોઈ રહી હતી . તેના બા બહુ જ સરળ લગતા હતા. બધા મુદ્દાની વાત પર આવ્યા બંને પરિવાર ના લોકો ને આ સગપણ યોગ્ય લાગ્યું .અમુભાઈ બોલ્યા કે તમારે કઈ પૂછવું હોય તો નુપુર ને પૂછી શકો છો ,હો વિજયાબેન ! મેં મારી દીકરીને શિક્ષિત બનાવી છે .સાથે સાથે અમારા ઘરને શોભે તેમ બધું જ જ્ઞાન આપ્યું છે. હું મારી દીકરીને કોલેજ માં જવા દેવા તૈયાર ન હતો તેથી તે દીકરીએ તેનો અભ્યાસ અહીની કોલેજ માં જ કર્યો છે.

તમારે ગુજરાતમાં બારમુ ધોરણ ગણાય ,અને અહી એસ. વાય. જેસી. સુધી ભણી છે.અને ઘર કામ માં તો બહુ પાવરધી છે .સવિતાબહેને પણ સૂરમાં સુર પુરાવ્યો . આજે નુપુરને થોડો ઉચાટ જાણતો હતો. મનમાં ડર હતો, કે હવે આગળ શું થશે ? થોડીવાર પછી કેતન ના બા બોલ્યા “ જો આપની ઈચ્છા હોય તો આપણે આજે સારું મુહુર્ત જોઇને ગોળધાણા ખાઈ લઇ એ તો. અમુભાઈ સુધી વાત પોહોચી ,તે બોલ્યા તમારા કોઈ સગાવ્હાલા ને તો બોલાવવા પડશે ને ? અમારી કલ્પના પણ હમણાં આવી પોગ્સે, મારી બહેન અનસુયા ને તેડાવી પડશે ! આટલી જલ્દી કેમ તૈયારી થાય ? વિજયાબહેન, બોલ્યા હા ! અમને વાંધો નથી, પણ અમારા તો કોઈ સગા અહી નથી, તમારાં  મહેમાનો ને આવવા દો અમે રાતની ગાડી પકડ્શું. ત્યાં કલ્પના અને વિજય કુમાર આવી પોહોચ્યા. મમ્મી એ તેમને કિચનમાં બોલાવી બધી વિગતે વાત કરી. વિજયકુમારને આ ઉતાવળ જરા ન સમજાય તેવી લાગી. પણ છોકરો, તેનું ભવિષ્ય વગેરે જોતા કઈ વાંધા જનક પણ ન લાગ્યું. અને સાંજના અનસુયા બહેન અને જયસુખલાલ આવ્યા પછી નક્કી થાય તેમ જણાવી ને સૌ જમવા બેસતા હતા ત્યાજ તેઓ આવી પોહોચ્યા . અને જમણવાર પતાવ્યા બાદ વિગતે વાત મૂકી . સવિતાબહેન તેમને અંદર લઇ જઈ ને સગપણ ની વાત કરી .તો તેઓ રાજી થયા. અને બોલ્યા છોકરો બહુ સારો છે .સ્વભાવ પણ સારો છે માટે મારું માનો, અને હા પાડી મુકો. ફરી સગાઇ કરવા ત્યાંથી કેમ બોલાવશું ? નકામો બીજો ધક્કો. અને આપણે પણ ખર્ચો તો થાયને ? તમે તપાસ તો કરાવી લીધી છે અને બધા ના મંતવ્ય પણ સારા મળ્યા છે.

તો શા માટે આપણે મોડું કરવાનું. નુપુરની મૌન આંખો આ બધા ની વાતો સાંભળી અને જોઈ રહી હતી. અંતે સર્વાનુમતે  સાંજના ચાર પછીના શુભ ચોઘડિયે સગાઈની વિધિ સંપન થઇ.

રાતના સાડા દસ વાગ્યાની બોરીવલી થી અમદાવાદ ની ટ્રેન હતી .તેમાં જવાનું નક્કી થયું. વિધિ પત્યા બાદ બધાભાઈ બહેનો ફરવા નીકળી પડ્યા. કેતન ને એમ હતું કે હું અને નુપુર જ જશું પણ અમુભાઈ ના તુગ્લઘી ફરમાન સામે કોઈ બોલી શકતું ન હતું. રસ્તામાં કેતને નુપુર ને પૂછ્યું તું ખુશ તો છે ને ? નુપુરે તરતજ જવાબ આપ્યો હા. હું બીજીવાર તને મળવા તો આવી શકું ને ? નુપુર દરિયા ના મોજામાં પગ ભીંજવતી બોલી હું પૂછીને જણાવીશ. કેતન થોડો ગીન્નાયો .તારો મોબાઈલ નંબર આપ ને ! મારી પાસે મોબાઈલ નથી . તમે ઘરના નંબર પર ફોન કરજો. કેતન પારદર્શક પાણી ના મોજા માંથી નુપૂરના ગોરા પગને જોઈ રહ્યો હતો. પગના નખો પર લાગેલી મરૂન રંગ ની પોલીશ ખુબ આકર્ષક લગતી હતી. નુપુર જયારે હસે ત્યારે  તેના ગાલમાં પડતા ખંજન થી તે વધુ મોહક લગતી હતી. કેતન તેના રૂપ થી મોહિત થતો હતો. નુપુર પણ કેતન ના હાવભાવ છાને ખૂણે જોઈ લેતી હતી. તેની બિલોરી કાચ જેવી આંખો ઢળતા સુરજ ની હાજરીમાં કૈક અલગ જ રંગ ની ભાસતી હતી. થોડી વાર આનંદ કરી બધા ઘર તરફ આવવા નીકળ્યા .રાતના દસ વાગ્યે કેતન ની ટ્રેન હતી તે સહ પરિવાર સાથે અમદાવાદ જવા નીકળ્યો.

(ક્રમશ)

લેખિકા: અલ્પા પંડ્યા દેસાઈ